‘આપણું’ ગીત - માધવ રામાનુજ

આપણે તો ભૈ રમતારામ !

વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

                                                           

વાદળ  કેવું  વરહે,  કેવું  ભીંજવે ! એવું  ઊગતા દીનું વ્હાલ !

આછેરો આવકાર મળે, બે નેણ ઢળે -

બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !

મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય

ને  પૂછે - કઈ  પા  રહેવાં  રામ ?

વાયરો   આવે-જાય  એણે  ક્યાંય  બાંધ્યાં  ના  હોય  ગામ !

                                                         

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;

સમણાંના શણગાર સજીને ઊંધ આવે

ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,

ઝાકળમાં  ખંખોળિયું ખૈ  ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…

આપણે તો ભૈ રમતારામ !

                               

માધવ રામાનુજ

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com           

પ્રાર્થના - રવીન્દ્રનાથ ટાગોર

                 

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

                       

રવીન્દ્રનાથ ટાગોર   

                              

અધ્યાત્મ આરોગ્ય

ભાગ- 2 માંથી સાભાર

પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ - 380004