આવી જઇશ હું - કૈલાસ પંડિત

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.

- કૈલાસ પંડિત

શ્રી. મનહર ઉધાસના  સૂરીલા કંઠમાં ગવાયેલું આ પ્રણયગીત ‘હા’ અને ‘ના’ વચ્ચેની શંકા આશંકાની મીઠી મૂંઝવણને કેવી સરસ અભિવ્યક્તિ આપે છે !  

આલ્બમ ‘ આરંભ’