ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
- કૈલાસ પંડિત
રીસામણાં અને મનામણાંની સામાન્ય વાત કહેતી હળવી શૈલીની આ ગઝલ, કવિની ગંભીર ગઝલોમાં જુદી જ ભાત પાડી જાય છે. પણ પ્રિયાની જગ્યાએ પરમ તત્વને આ સંબોધન છે એવો અર્થ કાઢવા બેસીએ તો પણ આપણે બહુ ખોટા ન પડીએ !
શ્રી. પંકજ ઉધાસે ગાયેલી બહુ ઓછી ગુજરાતી બંદીશોમાંની આ એક મજાની રચના સાંભળતાં ઝૂમી ઊઠીએ તેવી છે.
ટૂંકી બહેરની સુંદર ગઝલ… બીજા શેરમાં કાફિયો તૂટે છે. મારા માનવા પ્રમાણે એ શેર આ પ્રમાણે હોવો જોઈએ:
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે.
વિવેકભાઈ, તમે ખરા છો!
સુંદર રચના, વિવેકભાઈનુ સુચન બરાબર છે
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
વાહ… ખુબ સુંદર…
સુખનવર શ્રેણીની ચિનુ મોદી અને કૈલાસ પંડિત સંપાદિત પુસ્તિકા - “સુખનવર: કૈલાસ પંડિત”ના પૃષ્ઠ 22 પર આ ગઝલનો શેર મારી શંકાને ખરી ગણાવે છે :
ન પૂછો કશું યે, ન બોલો કશું,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે.
(અહીં કાફિયો તો આ મુજબ છે જ પણ ઊલા મિસરામાં -પહેલી કડીમાં- વાક્યાંતે જે “યે” શબ્દ પોસ્ટમાં વાપર્યો છે, તે પણ વધારાનો છે).
એ જ પ્રમાણે -
ન આવો છો મળવા, ન ઘરમાં રહો, (આ “છો” પણ વધારાનો છે!)
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
અને ગઝલમાં બીજા નંબરનો શેર જે સમૂળગો જ રહી ગયો છે તે આ છે:
હજી આવી બેઠાં ને ઊભાં થયાં !
અમારાથી આવું ? ખરાં છો તમે.
આખી ગઝલ પ્રશ્નાર્થચિહ્નો અને ઉદગાર ચિહ્નો સાથે આ પ્રમાણે છે:
ઘડીમાં રીસાવું ? ખરાં છો તમે !
ઘડીમાં મનાવું ! ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં !
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું !
અમસ્તા મુંઝાવું ! ખરાં છો તમે.
ન આવો છો મળવા ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઈ ગઈ. (બંને દીર્ઘ ઈ છે!)
નવી ક્યાંથી લાવું ! ખરાં છો તમે.
- સુરેશભાઈ ! ખરા છો તમે ! (-: (-:
અરે બાપલીયા! આ તો કેસેટ પરથી સાંભળી, તે ગમી ને લખી !
અને આ ડોહાના કાને ય થોડા રીહાયેલા સં - પાવર હાઉસમોં 35 વરહ કામ કરવાથી !!
પણ આટલી બધી મહેનત કરી આને મઠારી તે બદલ આભાર.
અહીં કોઇ ડોહો નથી! એક જવાન ડોસલો જરુર છે જે અમારા જેવાઓને ઘણી પ્રેરણા આપ્યા કરે છે.
આભાર સુરેશકાકા.
-જયેશ
પ્રિય સુરેશભાઈ,
સોથી વધારે બ્લૉગ આજે અસ્તિત્વ ધરાવે છે અને મોટાભાગના ઘણી બધી ભૂલો કરતાં હોય છે પણ હું હસ્તક્ષેપ કરું છું માત્ર એ જગ્યાએ, જ્યાં હું મારો અધિકાર ગણું છું. તમારા ઉત્સાહ અને ધગશની કાયાના હું નખ બરાબર પણ નથી અને એટલે જ તમારી કૃતિમાં હું સંપૂર્ણતા વાંખું છું. તમે કદાચ એક દીવાદાંડી સમાન છો અને એટલે જ તમારો પ્રકાશ ક્ષતિરહિત હોય એવી લાગણીને હું રોકી શક્તો નથી…