મિત્રો,
થોડા સમય પહેલા મે એક ગઝલમાં લખ્યું હતું
કે….
પાન એકાદું ખરે એ પાનખર કહેવાય નહીં…..
સાચું, પણ તો પછી ખરેખર પાનખર કોને કહેવાય ?
આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર…
તેવુંજ કંઈક કહેતી આ રચના તમારા માટે…
વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં….એ પાનખર
સાવ અંગત, હોઠમાં મલકે નહીં….એ પાનખર
વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી….એ પાનખર
હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી….એ પાનખર
કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
ને અચળ દર્પણ કદી બહેકે નહી….એ પાનખર
ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
મોરલા ચિતરેલ જો ગહેકે નહી…. એ પાનખર
વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
તોય પણ મારી ચિતા ચહેકે નહી….એ પાનખર
ડૉ. જગદીપ નાણાવટી
Nice