વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો – ચંદ્રિકા ઠક્કર

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો
(રાગ: હો હો રે પેલો રાજા રણછોડ છે)

વ્હાલો વ્હાલો લાગે મને કાનજી કાળો,
કાનજી કાળો એ તો કામણગારો.. વ્હાલો વ્હાલો (2)

કામણગારો એ તો મોરલિયો વાળો,
મોરલિયો વાળો એ તો લાગે રૂપાળો.. વ્હાલો વ્હાલો (2)

મોરલી વગાડી મારાં મનડાં હરી લેતો,
મનડાં હરી લઈને એ તો છુપાઈ જાતો.. વ્હાલો વ્હાલો (2)

જળ ભરવા જાઉં ત્યારે કાંકરીઓ મારે,
કાંકરીઓ મારી મારા મટકાં રે ફોડે.. વ્હાલો વ્હાલો (2)

મહી વેચવા જાઉં ત્યારે મારગમાં રોકે,
મારગ વચ્ચે રોકી મહીનાં દાણ જ માગે.. વ્હાલો વ્હાલો (2)

છાનો માનો ઘરમાં ઘૂસે ગોવાળોની સાથે,
ગોરસ લૂંટાવે ને મારા બાળ રડાવે.. વ્હાલો વ્હાલો (2)

માને રાવ કરવા જાઉં ત્યારે આગળ પહોંચી જાતો,
ડાહ્યો ડમરો થઈને માની પાસે બેસી જાતો.. વ્હાલો વ્હાલો (2)

એનું મોહક રૂપ જોઈને ગુસ્સો ઉતરી જાતો,
મારો ગુસ્સો ઉતારી મન મોહી લેતો.. વ્હાલો વ્હાલો (2)

‘ચંદ્રિકા’નો નાથ સૌને રાસે રમાડે,
રાસ રમાડીને ધન્ય કરી દેતો .. વ્હાલો વ્હાલો (2)

વ્હાલો વ્હાલો લાગે મને કુંવર કનૈયો,
કુંવર કનૈયો પેલો નંદજીનો છૈયો.. વ્હાલો વ્હાલો (2)

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 12, 2010

આવો આવો આવો મારા કાન કુંવરિયા – ચંદ્રિકા ઠક્કર

આવો આવો આવો મારા કાન કુંવરિયા
(રાગ: મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારે)

આવો આવો આવો મારા કાન કુંવરિયા
હે કાન કુંવરિયા મારી આંખોના તારલિયા રે
આંખોના તારલિયા.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

કાન કુંવરિયો આવે મોરલી વગાડતો
મોરલીના નાદે સૌને ઘેલાં બનાવતો
હે મોરલી વગાડતો નટવર આવે નાચંતો રે
આવે નાચંતો.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ભક્તોના પ્રેમનો પોકાર સુણીને
નંદજીનો છૈયો આવે વ્હારે દોડીને
હે દોડતો આવીને એનાં કામ કરી લે રે
કામ કરી લે… આવો આવો આવો મારા કાન કુંવરિયા

‘ચંદ્રિકા’નો શ્યામ આવી બિરાજે હ્રદયમાં
કરી નાખ્યું જીવન મારું ધન્ય એક પલમાં
હે ધન્ય કરીને એને લાધી છે શરણમાં રે
લીધી છે શરણમાં.. આવો આવો આવો મારા કાન કુંવરિયા

ચંદ્રિકા ઠક્કર
જાન્યુઆરી 30, 2010

એક ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

કાં હું નથી, કાં રોજનો આ આયનો નથી
ચહેરાએ ભાવ રૂક્ષતાનો નામનો નથી..!!

ટહુકો, અનંત સુરના આસવ સમાન છે
પર્યાય કોઈ છંદ, કોઈ રાગનો નથી

સમજણ પ્રમાણે જીંદગી આખી જીવી ગયો
પર્વત કદી અમે કરેલ રાયનો નથી

આંખો કશેક, હોઠ કશે, હાથ ક્યાંક છે
છલકાય, એમા વાંક ભલા જામનો નથી

ઈચ્છા દફન થયેલ, ને દાઝેલ મન હતું
રાખોડી રંગ સાવ બધો રાખનો નથી

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on February 20, 2010 at 10:22 pm  Comments (1)  

ભક્તિ – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

ભક્તિ

ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

મારા દિલમાં વસીયા છે આતમરામ ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

ભક્તિ પહેલી શ્રવણ શરણું લીજીએ

બીજી કીર્તન કરુણ ભાવે કીજીએ રે ભક્તિ મરજીવા………..(ટેક)

ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ

ચોથી ભક્તિતે પાઠપૂજા થાય ભક્તિ મરજીવા………

પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ

હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા……

છઠ્ઠી વંદન સકળ જીવને નમીએ

સતમી દાસત્વે કોઇનું દિલ ના દમીએ રે ભક્તિ મરજીવા…..

આઠમી મિત્ર ભાવે રે નજરે નામીએ

નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા….

દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ

ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા….

——————————————-
એક છે

આતો એક છે એક છે એક જ છે

ભૂત પ્રાણીમાં આત્મા એક રે ગુરુજીની સમજણ લો

રહ્યો સાક્ષી રુપે ભેદ ભાસે નહીં

નામ રુપ જોતાં જણાય અનેક રે ગુરુજીની સમજણ લો

એક સૂર્ય આકાશે ઝળકે છે

જળ પ્રતિબિંબ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો

જેવું વસ્ત્રમાં તંતુ અનુસ્થિત છે

વસ્ત્ર નામ રુપે અનેક જણાય રે ગુરુજીની સમજણ લો

જેવા મૃતીકાના ઘડા ઘાટ અનેક છે

ચુંથારામ ઘરેણાંમાં કનક સમાય રે ગુરુજીની સમજણ લો

——————————————-

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Published in: on February 20, 2010 at 10:21 pm  Leave a Comment  

જન્માષ્ટમી- ડૉ પ્રવીણ સેદાની

”જન્માષ્ટમી”

આસપાસ ઈશ્વરના હોવાનો અહેસાસ માત્ર માનવીના ચિત્તને શાતા આપે છે.માધવની અવતરવાની
વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થને પાંગળો તો નથી બનાવતાને? પ્રારબ્ધના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ. અરે માધવને માનવી તરીકે તો મુલવીએ! કંસવધથી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
જ ટપકતો દેખાય છે ને ?માધવને માધવની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
ઈશ્વરનું અસ્તિત્વ છે? શ્રધાળુંને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
પુરાવો માનવાનો નથી! અચાનક વાતાવરણમાં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વરનો અહેશાસ છે.
માધવની અવતરવાની આ વેળા -કંસના કારાગૃહમાંથી મધરાતે અચાનક વાંસળીના એક સુરનું-એક સુગંધનું મથુરાથી ગોકુલ તરફનું પ્રયાણ એ લાગણીને આ કાવ્યમાં મેં ભરી છે. ‘

” જન્માષ્ટમી”

મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
વૃંદાવનની ગલી ગલીમાં વાંસળી થઇને ફરશે.

શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુરને,
ચરણ સ્પર્શીને શમવુજ્ પડેને યમુનાના આ પુરને.

ચૌદ ભુવનનો નાથ છુપાઈ, કરંડિયામાં મલકે.
નંદ ઘરનો ઉલ્લાસ જગતના અણુ અણુમાં પ્રસરે.

મોરપિચ્છનું મેઘધનુષ્ય હવે, અવની પર કોઈ રચશે.
યુગપુરુષ ઝંખતી આંખોમાં, હર્ષબિન્દુ તગતગશે.

- ડો સેદાની

Published in: on February 20, 2010 at 10:20 pm  Leave a Comment  

ગોધરા કાંડ – ડૉ પ્રવીણ સેદાની

મિત્રો,
૧૯૪૭-હિન્દુસ્તાનની આઝાદીની પૂર્વ સંધ્યા -હિન્દુસ્તાન પાકિસ્તાન બે ભાગલા માં વહેચાયું -એ સમયે બંગાળમાં નોઆખલીમાં હિંદુ મુસ્લિમ વચે ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યા !
એ સમયે દીલ્લ્હીમાં ખેલાઈ રહેલા રાજકીય કાવાદાવાથી અલિપ્ત એવા અલગારી મહાત્મા ગાંધી નોઆખલીમાં આ કોમી દાવાનળને શાંત પાડવા પહોચી ગયા હતા.
એ પ્રસંગે મુંબાઈમાં વસતા શ્રી શાંતિલાલ શાહ એ પૂજ્ય બાપુ પર એક કવિતા લખીને ગાયેલી જેની રેકોર્ડ પણ બહાર પડેલી! એ કવિતાના આધારે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા અમદાવાદના કોમી હુલ્લડ વખતે મેં એક કવિતા લખેલી જે ગુજરાતના બધા અખબારોમાં એક સાથે પ્રસિદ્ધ થયેલી. -તમને ગમશે?
- ડો સેદાની

”ગોધરા કાંડ”

અમદાવાદની પવિત્ર ધરતી સૌથી બની અનોખી,
નિજ બાંધવના રક્ત બિંદુએ રજ રજ રંગી દીધી.
કોઈના બાળક કોઈની બેની કોઈની માતા પોઢી ,
કોઈ પ્રિયાના પ્રીતમ દેવે અગન પિછોડી ઓઢી.
અંગે અંગે રાગ દ્વેષની ભીસણ આગો પ્રગટી,
ઝખમ થયા અંતરમાં ઊંડા પીડા આકરી ઉપડી.
ઔષધ લઇને હકીમ આવો હરવા તમામ રોગો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

નિશદિન જેની શીતલ છાંયે માનવ બાળક રમતા,
હાય આજ ત્યાં વાઘ દીપડા ગીધડા ભોજન કરતા.
મુરદાને સંજીવન કરવા લાવો પ્રેમ કટોરો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

મંદિર ને મસ્જીદના સુણજો બોલી રહ્યા મિનારા ,
હિંદુ મુસ્લિમ બેઉ લાલ છે ભારત મા ના પ્યારા .
ઝેર બધું આ પીવા હવે આવે શંકર ભોળો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.

ભાગ્ય હીન આ ભૂમિ ઉપર ભાઈ ભાઈ જો જગડે
ભાન ભૂલીને ખંજરથી નિજ માનવ અંતર ચીરે.
રાંક બિચારી બેનીની પણ લાજ આબરૂ ઢાંકી ,
કીધા અત્યાચાર ઘોર રે પાપ લીલા વિસ્તરી.
આંસૂ આજ લુછવા દો અમને નથી નીરખવા દોષો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હૃદય ખોલો.

પ્રેમ અગ્નિની ધુમ્ર શિખાઓ ઉંચે ગગને ઉડજો,
બિરાદરીના ભેદભાવને બાળી નિર્મૂળ કરજો.
લીલા ભગવા દૈત્ય દાનવના આજ સિંહાસન ડોલો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદયને ખોલો.

- ડો સેદાની

Published in: on February 16, 2010 at 9:54 pm  Leave a Comment  

“ગુરૂગમ” વિશે લખાયેલ ભજનો- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ

(રાગઃ આ તો જગત અનાદિ આડંબરના કરીએ રે)

ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે
મળ્યા સદ્‍ગુરૂ દેવ સમજણ આપી સારી રે

લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે
તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે

બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે
આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે

માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે
કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે

રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે
વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે

સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે
પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે

પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે

—————————————————–

(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨)………)

ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..

ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ
માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..

ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ
ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..

અગમ સુગમે સાયબો શોભતા હો રામ
જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..

ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ
જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..

રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ
રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..

અનામીના નામે નક્કી કરીયો હો રામ
તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..

ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ
છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..

અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ
પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..

અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ
શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..

છગનરામની શાને સંસય ટળીયા હો રામ
આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..

પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ

——————————————————

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ દ્વારા “ગુરૂગમ” વિશે લખાયેલ ભજનો

Published in: on February 16, 2010 at 9:53 pm  Leave a Comment  

પ્રેમનો પમરાટ- રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રેમનો પમરાટ

પ્રેમ એતો પાવન પમરાટ
રૂપાળો કે રૂક્ષ થઈ બદલતો ઘાટ

પ્રેમ એતો સાગરની જાત
મળે ચંદરવો તો ઉછળે જઈ આભ

પ્રેમ એતો દિલનો ઉજાશ
સમર્પણથી નિશદિન મ્હેંકે સુવાસ

પ્રેમ એતો ભીંનો વરસાદ
ઝીલીને પ્રેમનો માણો અહેસાસ

પ્રેમ એતો સ્વપ્નોની ચાહ
માના ખોળાની કહે મમતાની વાત

પ્રેમની વાતો છે રંગીલી યાર
કોઈ દિ ગાયે ગઝલ કે રૂવડાવે રાત

પ્રેમ પૂરે જીવનમાં શક્તિ અનંત
પ્રેમની વાતોના નોંખા છે રંગ

ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર
ચાહ વિના જીંદગી અધૂરી છે યાર

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on February 16, 2010 at 9:45 pm  Comments (1)  

પ્રેમ… – ભગીરથ પટેલ

આ મારી પ્રથમ સ્વરચિત અછંદાસ રચના છે. લખવાનું સાહસ આજ સુધી કયારેય કર્યું નથી. વિદેશમાં છું અને વ્યવસાયે ઇજનેર છું, એટલે વ્યાકરણની સ્વાભાવિક ક્ષતિયો માફ કરી/સુધારીને પણ જો વાંચશો તો મને વધું લખવાની હિંમત મળશે તે આશા સાથે પ્રસ્તુત છે “પ્રેમ”….

પ્રેમ…
માત્ર સમર્પિત યુગલની લાગણીઓમાં જ સિમિત નથી પ્રેમ…
પરિભાષા નથી, પણ જગત આખાની ભાષા છે પ્રેમ…
ઘન, પ્રવાહિ કે વાયુ નથી, રંગ, ગંધ, ક્દ, આકાર, કે પરિમાણ નથી,
વિજ્ઞાન નથી, તોયે ન્યુટનના ત્રણે નિયમો પાળે છે પ્રેમ….
અર્થશાસ્ત્ર નથી, તોયે ઘણા શાસ્ત્રોનો અર્થ છે પ્રેમ….
જાણો તો, જગત આખાનું નાણું છે પ્રેમ…
કરાય નહીં વેપાર પ્રેમનો, એવો છે જગતનો વહેવાર,
થાય પ્રેમ તણો વહેવાર, તે દિ જ બને સાચો તહેવાર,
સમયની સાથે વહી જાય…, અને રહી જાય તે પ્રેમ…
ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત,
અન્ન સાથે પ્રેમ તે સ્વાદ, પ્રકૃતિ સાથે પ્રેમ તે સૃષ્ટિ,
દ્રશ્ય સાથે પ્રેમ તે સુંદર, દ્રશ્યમાં નહીં દ્રષ્ટિમાં છે પ્રેમ…
જ્યાં જુઓ ત્યાં પ્રેમ, તોયે વ્હેંત છેટો છે પ્રેમ…
નસીબ હોય તો જ મળે એમ નહીં, પણ નસીબ હોય તો જ સમજાય પ્રેમ…
વિદ્વાનોને ભલે ના સમજાય, અભણ તો શું? જીવ માત્રને પણ સમજાય પ્રેમ…
બાલ, તરુણ, વૃધ્ધ તો શું? ઝાડ, પાન, પશુ, પક્ષીનો પણ ઇજારો નથી પ્રેમ…
જડ અને ચેતનમાં પણ પ્રેમ…
ઉષાના કિરણોને ઝાકળ સાથે પ્રેમ…
વરસાદના સૂરજનો મેઘધનુષમાં ભાસે પ્રેમ…
તરુ ને ધરા સાથે, તારામંડળ ને ધ્રુવ સાથે પ્રેમ…
પર્વતને નદી સાથે, નદીને દરિયા સાથે ને માટીને ઢેફા સાથે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
જગત આખામાં પથરાય એટલો વ્યાપક તોયે, નાના બાળકની મુઠ્ઠીમાં સમાય પ્રેમ…
નિબંધમાં બંધ થાય નહીં, તોયે મુક્તકના પદોમાં સમાય પ્રેમ…
કોઈ સાચા સંતની ઝોળીમાં પણ સમાય પ્રેમ…
સ્વજનની આંખોમાં પણ ઊભરાય પ્રેમ…
થવું જ હોય પ્રેમમાં, તો પાગલ કે ઘાયલ નહીં પણ લાયક થવાય
ડૂબે તે તરે, ને તરે તે ડૂબે, આ તો પ્રેમ છે ભાઇ પ્રેમ…
સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ…
ભક્તિની શક્તિ છે, શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર છે પ્રેમ…
આમતો મને અને તમને પણ છે ક્યાંક પ્રેમ…
પણ મારો ને તમારો પ્રેમ એક બિંદુ, ને મારા પ્રભુનો પ્રેમ છે સિંધુ,
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
દરિયો છે, આમ શબ્દોથી ઉલેચાય નહીં પ્રેમ…
ભગીરથની કલ્પના નહીં, પ્રેમ પર છે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

– ભગીરથ પટેલ

Published in: on February 12, 2010 at 8:54 pm  Comments (2)  

સદગુરુ સેવે સુખ થાયે- પલાભાઈ ચુંથાભાઈ પટેલ

સોમે તો સદગુરુજી મળીયા, તાપ ત્રિવિધ તણા ટળીયા,
વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, રુપ ગુણ સમજાતાં મન હરખ્યાં,
નામે તો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે,

બુધે પેલી બુદ્ધિ બળ મોટું, સમજાયું સારુ ને ખોટું,
કે સમ થયું નાનું ને મોટું, કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરુવારે ગુરુજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા,
કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે,

શુક્ર્વારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં,
કે મનમાં નિજ સ્વરુપ ઠરીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

શનીવારે શનીપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરિયા,
કે બ્રહ્મ સ્વરુપમાં જઇ ભળીયા કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, કે સુરતાના મનડા ત્યાં લોપે,
વિવાહ કીધા સદગુરુજી શોભે, કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વાર સમજણમાં ધરતાં, કર ગુરુ છગનરામ શિર ધરતાં,
પરાંણ વાર નહીં ભવજળ તરતાં કે સદગુરુ સેવે સુખ થાયે

પલાભાઈ ચુંથાભાઈ પટેલ
જિંડવા

Published in: on February 3, 2010 at 9:25 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers