પ્રસંગ – ડૉ. જગદીપ નાણાવટી

પ્રસંગ

ગઝલને આંગણે શબ્દો વરે છે
રદીફ ને કાફીઆ ફેરા ફરે છે

પ્રથમ, શરણાયુને મત્લા વગાડે
પછી વસમી વિદા મક્તા કરે છે

લગાગા ગાલગાને શામિયાણે
વિવિધ અશઆરની વાની ધરે છે

વડીલોની જગ્યાએ મહેફિલે સૌ
મરીઝ, ગાલિબ, ને ઘાયલને સ્મરે છે

તમારી વાહ વાહી થી ભર્યો એ
હજુ માહોલ અમને સાંભરે છે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on April 28, 2010 at 5:56 pm  Comments (3)  

સવારી નીકળી – પાર્થ આર્ય

આજ તારી યાદના સહરા મહીં, મુજ ફૂલોની આ સવારી નીકળી,
બા-અદબ,બા મુલાઇજા, હોંશિયાર લો દિવાનાની સવારી નીકળી

ફુલ શા હાથે લગાવી તે મને, ચોટ તારી એ કરારી નીકળી,
સાવ છેલ્લા શ્વાસ સુધી સાચવી, એ જીંદગી યે રે ! તમારી નીકળી,

હો સુબહનો સુર્ય કે બુઝતી શમા, યાદ તારી એકધારી નીકળી,
જીંદગીનું નામ બીજું હા પતન, લાશ મારી સાવ સારી નીકળી,

પાર્થ આર્ય

Published in: on April 8, 2010 at 6:25 pm  Leave a Comment  

રામનવમી – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

રામનવમી

ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. ‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને ‘રામનામ’ નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી ‘મરા…મરા…’ નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને ‘વાલ્મીક’ કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્‌ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.

(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા……………)

નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Published in: on April 1, 2010 at 8:53 pm  Leave a Comment  

લૂ – ગગુભા રાજ

લૂ

કોઇના ઊના ઊના નિ:શ્વાસ જેવી,
કે પછી-
સમીપ સરકી આવેલી સખીના ઉચ્છવાસ જેવી?;
પાકી ગયેલાં પર્ણૅની પીળાશ જેવી,
કે પછી-
એના થકી પાકતી કેરીની મીઠાશ જેવી,
સૂક્કા ગળે બાઝતી ખરાશ જેવી,
કે પછી-
કોરી માટલીના ભર્યા પાણીની સુવાસ જેવી,
સૂની સડક પર ભાંભરતી ગા જેવી,
કે પછી-
કૂંપળને પાલવડે ભરતી મા જેવી,

આપને કેવી માણવાની ગમે?
લૂ ???

ગગુભા રાજ

Published in: on April 1, 2010 at 8:44 pm  Comments (3)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers