ગુરુ પૂર્ણીમા પ્રસંગે – ચુંથાભાઇ જીજીદાસ પટેલ

ગુરુ પૂર્ણીમા તા ૨૫ જૂલાઇ ૨૦૧૦ રવિવાર

અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, ‘ગુ’(અંન્ધકાર) અને ‘રુ’(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.

સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે “તારી અંદર રહેલો આત્મા જગતના તમામ ગુરુઓ કરતા અનંત ગણો મહાન છે” (સદગુરુ)

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે………………

(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું……….)

ગુરુની ગાદી હ્રદય કમળમાં નિત નિત દર્શન થાય
સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય

પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી
સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)

હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા
ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)

ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી
અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)

અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ
હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)

જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો
અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)

——————————————————

મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે
મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે

સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત
સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે

શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર
ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે

વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર
અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે

સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર
દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે

——————————————————

વારી વારી ગુરુજી બલિહારી રે
મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે

કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે
કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે

કીધી સડકો સાહેબ દરબારની રે
ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે

કીધી બોંતેર બેઠકની બંગલી રે
ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે

ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે
ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે

જાણે વિજળી ગગનમાં ઝબકી રે
દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે

——————————————————

ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને
પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને

સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી
મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી
દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને

કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની
ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી
ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને

નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી
નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી
ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને

——————————————————
ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી
અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે
અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા
ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા
ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

અનહદ પૂરીના વાજાં નોબતો વાગી
ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

——————————————————
ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી
મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે

જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી
પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે

ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં
અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે

ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે
પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે

પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ
ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે

—————————————————-

ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા
ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,
મહારોગ સમૂળો કાપે છે

રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા
મુક્યુ નામનું નસ્તર સુખકારી,
મારી અંતર વેદના સૌ ટાળી

પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા
ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું
ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું

દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા

-ચુંથાભાઇ જીજીદાસ પટેલ

Published in: on July 25, 2010 at 1:38 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2010/07/25/%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a3%e0%ab%80%e0%aa%ae%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%82%e0%aa%97%e0%ab%87-%e0%aa%9a%e0%ab%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers