જનાવર શું જીવી રહ્યો- દિલીપ ર. પટેલ

મેલી ભારત માભોમ ઘેલી અમેરિકી રે ભોમ જનાવર શું જીવી રહ્યો
જોઈ લખમી દોમ દોમ ખોઈ જનૂન ને જોમ જનાવર શું જીવી રહ્યો

સાધવા ડોલરિયા કોડ સજીને હું હરણાં દોડ દોડી કરતો બબ્બે જોબ
ખમી ડફણા ને દોષ દબાવી દિલડે રોષ ખરેખરો ખર શું જીવી રહ્યો

બસ ઓઢીને થાક સમણાંયે બોસની ધાક નસકોરાં ઝંખી જાગે નાક
ગઈ કામ ઢસરડાંમાં ઉંધ તોયે પટપટાવી પૂંછ કુક્કર શું જીવી રહ્યો

જમી ફાસ્ટફૂડ શી એંઠ કરી હાથીપગા શું પેટ ભમું લઈ ગામની વેઠ
હું તો ગરજડાં કેરાં ગાઈ ‘હા’જી હાલરડાં શુકર ડુક્કર શું જીવી રહ્યો

બૈરાં સામે ગમાર ભેંશ ખરગોશ શો નરમ ઘેંશ રે દિલ તબેલો સૂનો
ઘાંચી બળદ છોરાં સાથ રે નાચી માંકડા નાચ વાનર શું જીવી રહ્યો

બધે હો કાગડા છો કાળા અહીં તો બોલબાલા જો શબદ રૂપ રૂપાળા
બદલી રંગ કાચિંડા શા યા ચીતરી રૂપ કાં ના કાબર શું જીવી રહ્યો?

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નિયા

એક ગઝલ – ડૉ. જગદીપ નણાવટી

શ્વાસ છે સરગમ સુરીલી, ધડકનોના તાલ છે
કેટલું જીવન અમારૂં દોસ્ત, માલામાલ છે

શબ્દના ચરણો લઈ, જંગલ ગઝલનાં ખુંદતો
છંદની કેડી એ મારી એકધારી ચાલ છે

લાગણીની લઈ હથોડી, મેં સમયને ટાંકણે
જે શિલાલેખો પ્રણયના કોતર્યાં, મિસાલ છે

રંગ તારી હર અદાના આંખમાં ઠાંસી ભરૂં
સ્વપ્નથી ભીનો પછી જો, કેટલો રૂમાલ છે

જીંદગી, તું દબદબો માની ભલે હરખાય.પણ
મોત નામે શહેરમાં એ કેટલી કંગાલ છે

-ડૉ. જગદીપ નાણાવટી

Published in: on August 25, 2010 at 8:04 pm  Comments (2)  

ભરતગુંથણ કરતી પત્નીને – ઘનશ્યામ વઘાસીયા

ભરતગુંથણ કરતી પત્નીને-

ઝરુખે બેઠી ભરત ભરતી,
વધૂ મારી સારી સારી રે.
સોયમાં પરોવી દોરો,
ટેભા લેતી ખુશી ખુશી રે.
મોરલા ભરે, ચકલી ભરે,
ટહુકા એના ગહેંકે ગહેકે રે.
તબલા ભરે, ઢોલક ભરે,
તાલ એના વાગે વાગે રે.
શરણાઇ ભરે, વીણા ભરે,
સૂર એના મ્હેંકે મ્હેંકે રે.
ભરત એની દીકરી સારુ,
દીકરી તો રાજી રાજી રે.
‘શ્યામ’ સરીખો વર એનો,
એ જોઇ, રાજી રાજી રે.

-ઘનશ્યામ વઘાસીયા.
૧૮.૦૮.૨૦૧૦,૯.૦૦ રાત્રિ

http://ghanshyam69.wordpress.com/

Published in: on August 25, 2010 at 7:59 pm  Comments (1)  

સાવ મૂંગીમંતર! – વિપુલ પરમાર ‘હાસ્ય’

મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!
દિલમાં આવી કોણ બજાવે આ ઝીણું ઝીણું જંતર?

ચાલી ચાલી થાકું તોય
ન મળતો એનો કેડો,
મળી જાય તો બોલાય નહી બાયું
આ તે કેવો નેહ્ડો?
આંખ અને કાન વચ્ચેય આવું દૂર દૂરનું અંતર !
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વચન વાલમના યાદ કરી
હું છાનુંછાનું મલકું,
મુજમાં આખો સમદર ઘૂઘવે
હું ક્યાં જઈને છલકું?
ચિત્તડું મારું ચકરાઈ ગયુંને બુદ્ધિ થઈ છૂમંતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

લખવામાં એ આવે નહી
ન કોઈ વાણીમાં બોલાય,
બાવન બાવન બોલું પણ
હું થી શબદ ન ઉચરાય!
સાવય એળે ગયું મારું ભંવ આખાનું ભણતર .
મારામાંથી કોણ ગયું ? હું તો સાવ મૂંગીમંતર!

વિપુલ પરમાર ‘હાસ્ય’

Published in: on August 15, 2010 at 10:43 pm  Comments (1)  

કંઈ જામી છે ! – વિપુલ પરમાર ‘હાસ્ય’

કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !

કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !

નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !

ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !

આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો, કંઈ જામી છે !

બળબળતા સૂરજની ઉપરવટ ફરતાં’તા ‘હાસ્ય’
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !

વિપુલ પરમાર ‘હાસ્ય’

Published in: on August 15, 2010 at 10:42 pm  Comments (1)  

પ્રેમ – ધવલ સોની

પ્રેમ

હું એક એવા પ્રેમની કલ્પના કરી શકુ છું..
કે જ્યાં ઝરણાની જેમ વહેતી નદી હોય…
જ્યાં બાગમાં બોલી શક્તા ફૂલો હોય…
જ્યાં ચંચળ પતંગિયા જેવો પવન હોય…
જ્યાં લહેરાતા હાસ્યની સુગંધ હોય…
હું બેઠી હોય શરમાઈને શાંત એકલી,
ને છતાં મારા શ્વાસો કોઇની સાથે અથડાતા હોય….
જ્યાં મૌનની અલગ જ ભાષા હોય…
ને જ્યાં તમે ના હોવા છતા તમારો સ્વપ્નપ્રેમ હંમેશા હાજર હોય..
એ પ્રેમમાં હું ખોવાતી જાઉં મારી કલ્પના થકી ધીરેધીરે ને ભુલતી જાઉં મારા ખુદના અસ્તિત્વને…તનમનથી ભીંજાતી જાઉં એ અલૌકિક આંનંદમાં…..
ને હું બની જાઉ તારા હ્રદયનું ફૂલ કાયમ માટે…..!

ધવલ સોની

Published in: on August 15, 2010 at 10:41 pm  Comments (2)  

એક ગઝલ- ડૉ. રાજેશ પ્રજાપતિ

એક ગઝલ

શબ્દો ખોળી ખોળી ચીપી ચીપીને ઉતારુ એક ગઝલ,
હરેક વાર થાય હજુ વધુ સુન્દર જોઇએ એક ગઝલ.

વૃન્દાવન વિચારોના અટકી જાય કાગળ પેન થકી અહી,
કોણ કહે છે કોઇની ચોરેલી છે આ એક ગઝલ ?

ચાન્દ ખિડકીથી પ્રવેશવા રાત ભર ઝૂરતો રહ્યો,
ઉપરવટ કેમ જાય પીઠ ને ટેકે બેઠી છે એક ગઝલ ?

લે હવે તને રંગીન ધનૂષના રંગે રંગી લઉ,
શા કાજે રોજ પડછાયાના રંગમા રંગાય તું ગઝલ ?

સપ્તરંગી સમ્બન્ધો રોજ ઉતરે પત્રો મહી અવનવા,
કેમ જાણે કેમ એકાદ બે પૂરતી વિહરી જાય ગઝલ ?

વરસીને વર્ષાએ ધરાને ત્રૂપ્ત ઘણી કરી જળથી,
આગોશમાં પેસી બન્ધ બારણે ઠુંઠવાય એક ગઝલ….

ડો. રાજેશ પ્રજાપતિ

Published in: on August 14, 2010 at 10:26 am  Comments (4)  

જિંદગી – પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

જિંદગી

આવતી કદી જો રીમઝીમ વર્ષાની હેલી,
જાણે સોહામણા ભવિષની કરતી આગાહી,
તો ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી.
રહેતું નથી કાંઈ પણ હંમેશા સમૂળ,
સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર,
શ્યામલ વાદળી માંહીજ વર્ષા,
ને વળી વર્ષા માંહીજ મેઘધનૂષ,
ઝટ સરી જતી પળો ખુશીની,
આનંદે તે ભોગવી રહેવું પ્રભુ નાં આભારી.
ક્યારેક જો વળી આવે આપત્તિ,
આસ્તિક કદી નવ થાજો આશાહીન,
એજ તો છે આપણી આસમાની સુલતાની.
ક્યારેક જો વળી સુખ થતું દુઃખ ને આધીન,
જાણજો જુક્તિ એ તો સર્જનહારની,
જાતક ને જે આપી જિજીવિષા પ્રબળ ઘણી,
તેજ થકી તો રહેતી અખંડિત અમર આશા ઘણી,
ઉદ્વિગ્ન ઉરમાં તે ભરતી ઉત્સાહનો ઉછરંગ,
ખમીખમી ને પછડાટ વળી અડીખમ રહેતી જિંદગી,
પ્રસારી ને સોનેરી પાંખો વળી ઉડવાને તૈયાર જિંદગી !
વળી થઇ સાહસિક વહેવાને બોજ તૈયાર જિંદગી !
થતી કદીના આશાહીન જિંદગી !
ધૈર્ય અને શૌર્યથી વિજયાંકિત જિંદગી.

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’http://piyuninopamrat.wordpress.com/

http://gujaratikavitaanegazal.ning.com/profile/ParuKrishnakant

Published in: on August 14, 2010 at 10:21 am  Comments (3)  

હૈયા હો ! – ‘જિત’ ચુડાસમા

હૈયા હો !

કોઇ ઉપાડો શ્વાસોની બિસ્માર નનામી, હૈયા હો !
ક્ષણના સૂરજની સાખે હોમાય સલામી, હૈયા હો !

આગળ પાછળ ઉડતી જાતી ધૂળની ભૂરી ડમરી ને;
આંખોમાં બેફામ બનેલી ઝાંખ હરામી, હૈયા હો !

નાક મથાળે બેઠેલી માખીના સગ૫ણ શોધી લો,
વાનર પાસે સાવ ખુલ્લી તલવાર ઇનામી, હૈયા હો !

ધગધગતાં સળિયા નાખીને ફોડી નાખો કુબ્જાને;
કર્યા કરે છે સપનાની દિન રાત ગુલામી, હૈયા હો !

‘જિત’ ખિસ્સામાં સ્વારથનાં ખખડે છે સિક્કા; બોલી દઉં,
કોઇ મરેલા માણસની જો થાય નિલામી, હૈયા હો

-’જિત’ ચુડાસમા

Published in: on August 6, 2010 at 7:14 pm  Leave a Comment  

જ્યારે પ્રભુની હિન્દમાં ઓળખાણ થઈ હશે – દિલીપ ર. પટેલ

જ્યારે પ્રભુની હિન્દમાં ઓળખાણ થઈ હશે
ત્યારે મૂરતિ મંદિરનો ચમકપ્હાણ થઈ હશે

ચોરાશીમાં ચગદાઈ મરતાં માયાવી જીવ
સંત શાસ્ત્રે રહે સનાતન એ જાણ થઈ હશે

પથરામાં પાગલ એમ તો નથી હોતું દૈવત
પીર વસે તહીં જો પ્રતિષ્ઠા પ્રાણ થઈ હશે

ગર્ભપીઠે શુભ પ્રસંગ કેવો પ્રગટે શ્રધ્ધાદીપ
અજ્ઞાન બળતાં દ્રષ્ટિ દિવ્ય બાણ થઈ હશે

સાકાર હરિ સંગે સત્વાહાર લભે પંચેન્દ્રિય
કે મહા મહેલાતે વાસના નિર્વાણ થઈ હશે

મલકતાં સંત પુષ્પો સંગ પ્રભુ પારિજાતક
કર્તા હર્તા ગણી હરિ વૃત્તિ નિર્માન થઈ હશે

કળિકાળેય આજ દેવ દોહ્યલા નથી ‘દિલ’
મંદિર જે મન દિલ મૂર્તિ નિર્માણ થઈ હશે

દિલીપ ર. પટેલ
ઓગષ્ટ 5 2010

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers