કોરા કાગળ પર અક્ષરો અંકાતા નથી,
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી.
બે ઘડીની મસ્તી, અર્ધ ડૂબેલ કસ્તી,
પવનના જોકાને મારાથી રોકતા નથી.
ઝાકળબુંદની વચ્ચે હોય ફોરમની હસ્તી,
તોયે કળીઓના પાન ભીંજાતા નથી.
નસીબ આવી જાય છે મારગમાં હંમેસા,
વિધાતાના લેખ રબરથી ભુંસાતા નથી.
“વંદના” ખરો જામ્યો છે ખેલ આજે,
દ્રષ્ટિના આંસુ નયનથી લુંછાતા નથી.
મારા અક્ષરો આજ મુજથી વંચાતા નથી…
-વંદના જેઠલોજા
વંદનાબેન ની કૃતિઓ અમુક તો ખરેખર ‘ટચી’…ભીતરને સ્પર્શી જતી હોય છે ,
જે અંદરના કારણ સાથે નિસ્બત રાખે છે! આપણે સહુ ” ગમા-અણગમા” ના હેવાયા છીએને? મોકલતા રહેશો.
—————————————————————————————–
ક ઈં ક- “ પરિચાયક સંપાદક નું મનોગત ”
‘ કઈંક’ એ વિશેષ રીતે કાંઇક અલગ પ્રકારના લખાણો, શુદ્ધ કાવ્ય-સંગ્રહ નહીં , તેવી નાનકડી પુસ્તિકા છે. મૂળે, મુખ્યતઃ વિચારવાના, લખવાના શોખીન વ્યક્તિના વિચાર-ભાવ પ્રાકટ્યની રજૂઆત પોતાની રીતે થઇ છે, એમ કહી શકાય.આમેજ કરાયેલા સાહિત્યના ભાષા શૈલી, શબ્દોની પસંદગી,ગોઠવણી કઈંક જુદી ને મૌલિક છે! ક્યાંક લાબું, તો ક્યાંક ભાષા અટપટી લાગે, ક્યાંક વૈચિત્ર્યપૂર્ણ ને પુનઃ ઉચ્ચારણ પણ એટલુંજ સહજ રીતે થયેલું છે.( તેમના ધર્મપત્ની ‘પુષ્પાબેને’ સહજ સ્વીકાર કર્યો જ છે.) મુખ્ય કરીને, ભાવ-વિચાર વિસ્તાર અને સહજ પ્રકટીકરણ માટે અછાન્દસ પ્રકાર વપરાયા છે. ક્યાંક વળી પ્રાસ-અનુપ્રાસ, શબ્દલયતા, અર્થ -મર્મ, તત્વ-બીજ આવિષ્કૃત થતા પણ દેખાય છે.ઘણે ઠેકાણે, લખાણો,કૃતિઓનો અંતરપ્રવાહ ઈશ્વરીય શક્તિમાં શ્રધ્ધા, -સમગ્ર અખિલાઈમાં -કુદરતી વ્યવસ્થાની સમ્પૂર્ણતા,ઋણાનુબંધમાં પૂરી આસ્થા, કર્મગત થીયરીને અનુસરતા વ્યક્તિત્વને ઉજાગર કરે છે.
નિખાલસતા,પારદર્શિતા,સ્પષ્ટતા,સાચુકલાપણું…. પણ ઉભરાઈને મુખરિત થતા દેખાય છે. ધ્યાનમાં થતી અનુભૂતિની[આના ગેબી નાદના મોજાં...ધ્વનિ-આંદોલનો,/ઊછળ્યા કરે છે, ગૂંજ્યા કરે છે ભીતર,વારંવાર, લગાતાર].+( જાણે બરફની શ્વેત શીલા તે હુંજ !/શ્વેત નિર્મળ નિરામય બરફાચ્છાદિત સમગ્ર વાતાવરણની શીતળતા,તાઝગી વર્તાય છે!) + {હું ગૂંજુ બેફામ, અંતરતમ મન-ગગનમાં, /રણઝણ રણઝણ,ઝનઝન, ઝનઝન થાય/ઝબકયો અંગત એહસાસ! ગજબ આભાસ! } + નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા/તંતોતંત અમી છાંટણા, ઈશકૃપાના રણકારા, /આવી પૂગ્યા હરિ અમારે દ્વાર! બાજે ભણકારા, /શરણાઈ, ઘંટનાદ, મંજીરાના બજંત રે ઝણકારા/ મારું અસ્તિત્વ નીરવ એકાંતે ઝળહળે છે! / સર્વત્ર આનંદ! સ્વાનંદ-વર્ષા થઇ રહે છે!) માં ઝલક મળે છે.
શૃંગાર-રસ કયા સંવેદનશીલ- “જીવંત” માનવીને ન આકર્ષે? ક્યાંક સહજ વીજ ચમકારા નજરે પડે છે [મિલનની ક્ષણને અજવાળે એહસાસ બનીને આવ્યો છું, બીજ ફળ્યાના ઠેlસ સજ્જડ પુરાવા લઈને આવ્યો છું,]+ {તારી કોમલ આળી ફળદ્રુપ ગુપ્ત-ભૂમિએ-,ચોક્કસ મારો કોઈ બીજ-અંશ ફળ્યો હશે!} + (ઝુમ્મર એવા બાંધ્યા તસ-તસ, છૂટેતો પય-કુંભ, ઝોલા ખાય!) + {તું તનની દોરી ઢીલી રાખજે,અંગ અંગ મસ્તી,મોર નાચશે!તું તારી છાતી ખૂલ્લી રાખજે,} / [પુષ્પધન્વા કંપની ઝનઝન તનમાં માણતી, /આહ્ લાદી રહી સ્વર્ગની સહેલ સલૂણી,જાણતી.}/સર્વ પ્રિય,પ્રેયસ્કર અને શ્રેયસ્કર પ્રેમ-સ્નેહ,,મિત્રતા, વિગેરે ભાવો દૃષ્ટિગત થાય.
--
લખાણો/કૃતિઓ માટે નીચે પ્રમાણે " બ્રોડ કેટેગરી " કરાઈ છે :
(૧) હું , સ્વ, નિજતા,પોતાપણું , મૂળ વજૂદ , અસ્તિત્વ, હયાતી,કવિ,કવિતા, તત્વ-સત્વ,દર્શન-ફિલોસોફી, ધર્મ-અધ્યાત્મલક્ષી ,ઈશ્વર,કુદરત,સ્વયં-સંચાલિત સમગ્રમાં પ્રવૃત છલકતી ઉભરાતી શક્તિ-પ્રવાહની વ્યાપકતા જે સ્વયં-સંપૂર્ણ ને પ્રભાવી છે. જેમાં સજીવ,નીર્જીવ, પદાર્થો,તત્વોમાં સૂક્ષ્મ રીતે-અદૃશ્ય રીતે રહેલા છે જ .
(૨) "પ્રેમ" મૂળ સર્વ-શક્તિ સ્રોત છે.સહજ ગુણ લક્ષણ છે.સામાન્ય રીતે-જીવનનો સંજીવની અમૃત સરીખો પદાર્થ છે! અંતતઃ એ એવું તત્વ છે, જે મન-બુદ્ધિવાળા પ્રાણીને માટે સુચારુ સુખી જીવન માટે નિહાયત જરૂરી છે.
(૩) સામાન્ય અનુભવો - પ્રસંગો, ઘટનાઓ, બનાવો, તેના આકાસ્મિક્તાના, વૈચિત્ર્ય - નાવીન્ય- વિવિધતાના તત્વો, તેના પ્રભાવો, અસરો સાથે સુસંગત એવા લખાણો - કૃતિઓ.
(૪) વધેલી ઉમર , વૃદ્ધાવસ્થા, વાનપ્રસ્થતા, સાથે સંલગ્ન મનોભાવો, શારીરિક અને માનસિક અસહાયતા , નિર્બળતા, શક્તિક્ષીણતા , પરાધીનતા પરિપક્વતા અને છેલ્લે, દેહ - શરીર – સ્થૂળ અસ્તિત્વનો "અંત"-મૃત્યુ, જન્મ સાથે અબાધિત પણે જોડાયેલા તત્વો-ભાવો છે.
આ સઘળું એકપણું, દ્વન્દ્વગતતા, ત્રીપરિમાણી,ચતુર્દીશામય, પંચતત્વગ્રસ્ત, ષષ્ટકારી, સપ્ત-રંગી, અષ્ટ-કોણીય ,નવગ્રહ-રસ વર્તુલિતા-વ્યાપકશીલતા, ગતિમાનતા, અંતર્ગત બદ્ધ છે. આ બધ્ધુંજ એકત્વ-અખિલાઈ સમગ્રતામાં સમાહિત છે, અને એ રૂએ સમગ્રની દૃષ્ટિએ, સમગ્રથી, સમગ્રમાં કઈં પણ થવું શક્ય છે! આપણે એનાજ એક ભાગ છીએ એટલે,
“દૃઢ સંકલ્પશક્તિથી બધ્ધુંજ [કઈં પણ] થઈ શકે છે !!! એવું તારતમ્ય કઢાયું છે॰
લક્ષ્મીકાન્તભાઈનો સંગ, વિપશ્યના,રેકી, ધ્યાન,પ્રાર્થના ઈ.ના રંગ પુષ્પાબેનને લગાવી ગયો છે,એમ કહી શકાય.એમની કૃતિઓમાં શ્રદ્ધા-આસ્થા મુખરિત થતા અનુભવાય છે. દા.ત.: ।। નિર્ભાર મન ધવલ કમલ બને,તે વાત કરું!
સ્વયં સુગંધ બની જાઉં, તરું, તેની વાત કરું!
દેહ આ નિ:શેષ થઇ,હવા બને,તેની વાત કરું! ।।
।। પળ પળ મનમાં રમે રામનું નામ, શ્વાસે શ્વાસે ઝરે રામ, રામ ને રામ !…।।
ભુજ-(કચ્છ), ૨૭-૧૧-૨0૧૦. -નલિનભાઈ જે. ઉપાધ્યાય .
=======================================================
વાંચવાને ચાહું તોયે વંચાતા નથી
રચાયો છે આંખ આગળ આંસુઓનો પરદો!
કોણ જાણે એ કયારે ઝાકળ જેવો પારદર્શક બનશે
ને હું વાંચી શકીશ ન લખાયેલા એ શબ્દો!