દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? – આદીલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

                                      

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

                                         

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

                                         

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

                                      

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

                                        

આદિલ મન્સૂરી

જન્મ કરાંચીમાં, ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી                              

સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                 

ક્ષણ સુધી – આદીલ મન્સુરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો  જન્મોની  છાયા  જિંદગીના  રણ  સુધી.

                                                    

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

                                                        

બ્હાર  ઘટનાઓના  સૂરજની  ધજા  ફરકે  અને,

સ્વપ્નના  જંગલનું  અંધારું  રહે  પાંપણ  સુધી.

                                                    

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે  મને  દર્પણ  સુધી.

                                                     

કાંકરી  પૃથ્વીની  ખૂંચે છે  પગે પગ  ક્યારની,

આભની સીમાઓ  પૂરી થાય છે  ગોફણ સુધી.

                                                     

કાળનું કરવું કે ત્યાં  આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

                                                     

– આદીલ મન્સુરી