જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક

              જીવન અંજલિ થાજો !

           મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                           

સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

           મારું જીવન અંજલિ થાજો ! 

                                                        

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !

            મારું જીવન અંજલિ થાજો !

                                                          

વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

           મારું જીવન અંજલિ થાજો !

                                                        

કરસનદાસ માણેક