હરિ, જેવો તેવો હું દાસ તમારો – દયારામ (Dayaram)

દયારામ 

      

હરિ, જેવો તેવો હું દાસ તમારો

     

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..
સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..

દયારામ 

ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram)

દયારામ

   

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

  

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ 

શ્યામ રંગ – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં  કાળાશ   તે  તો  સૌ  એકસરખું,  સર્વમાં   કપટ   હશે  આવું….  મારે..

                

કસ્તુરી   કેરી   બિંદી   તો  કરું   નહીં,  કાજળ  ના આંખમાં   અંજાવું….  મારે…

                 

કોકિલાનો  શબ્દ હું  સુણું  નહીં  કાને,  કાગવાણી   શકુનમાં  ન  લાવું….  મારે…   

                    

નીલાંબર   કાળી  કંચુકી   ન   પહેરું,  જમનાનાં   નીરમાં  ન   ન્હાવું….  મારે…

                  

મરકતમણિ   ને  મેધ   દ્રષ્ટે   ના   જોવા,  જાંબુવંત્યાક    ના   ખાવું….  મારે…

               

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે  ‘પલક ના  નિભાવું!’… મારે…

                        

–  દયારામ

જન્મ: 1777  અવસાન: 1853