આજ તો એવું થાય ! – દેવજી રા. મોઢા

આજ તો એવું થાય :

વનરાવનને મારગ મને માધવ મળી જાય !

                                                          

સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,

સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;

ઓરતો મને એક જ હવે અંતર રહી જાય :

વનરાવનને મારગ મને…..

                                                           

મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,

રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ ?

વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય :

વનરાવનને મારગ મને…..

                                                           

બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,

ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;

ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય ?

વનરાવનને મારગ મને…..

                                                       

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,

ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;

પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય !

વનરાવનને મારગ મને……

                                                          

નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,

ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;

જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:

વનરાવનને મારગ મને માધવ મળી  જાય !

આજ તો એવું થાય……

                                                       

દેવજી રા. મોઢા