કોઈ પ્રીત કરી તો જાણે !
કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! – કોઈ..
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! – કોઈ..
દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા ર્ હેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! – કોઈ..
મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે ! – કોઈ..
મહેન્દ્ર વ્યાસ ‘અચલ’