કોઈ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ (Mahendra Vyas)

કોઈ પ્રીત કરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! – કોઈ..

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા  ખોવાયા   જેવી,
પળ પળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! – કોઈ..

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક   વાણીની   વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા ર્ હેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! – કોઈ..

મોજાંઓના     પછડાટોથી,
ઝંઝાનિલના  આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે ! – કોઈ..

મહેન્દ્ર વ્યાસ ‘અચલ’