પ્રાર્થના – રવીન્દ્રનાથ ટાગોર

                 

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

                       

રવીન્દ્રનાથ ટાગોર   

                              

અધ્યાત્મ આરોગ્ય

ભાગ- 2 માંથી સાભાર

પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ – 380004