નયણાં – વેણીભાઈ પુરોહિત (Venibhai Purohit)

નયણાં

ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં-
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

વેણીભાઈ પુરોહિત
જીવનકાળ: 1 ફેબ્રુઆરી, 1916 થી 3 ફેબ્રુઆરી, 1980

અટકળ બની ગઈ જિન્દગી – વેણીભાઈ પુરોહિત (Venibhai Purohit)

આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ..
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિન્દગી!

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છવાસની અટકળ બની ગઈ જિન્દગી!

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિન્દગી!

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિન્દગી!

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિન્દગી!

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઈ જિન્દગી!

વેણીભાઈ પુરોહિત
જીવનકાળ: 1 ફેબ્રુઆરી, 1916 થી 3 ફેબ્રુઆરી, 1980