સ્નેહરશ્મિ
કોણ રોકે ?
આ પૂનમની ચમકે ચાંદની,
એને કોણ રોકે ?
કાંઈ સાયર છલક્યા જાય
કે એને કોણ ટોકે ?
આ આષાઢી વરશે મેહુલો,
એને કોણ રોકે ?
કાંઈ પૃથિવી પુલકિત થાય
કે એને કોણ ટોકે ?
આ વસંતે ખીલતાં ફૂલડાં
એને કોણ રોકે ?
કાંઈ ભમરા ગમ વિણ ગાય,
એને કોણ ટોકે ?
આ આંબે મ્હોરતી મંજરી,
એને કોણ રોકે ?
કાંઈ કોકિલ ઘેલો થાય
કે એને કોણ ટોકે ?
આ અંગે યૌવન પાંગરે,
એને કોણ રોકે ?
કાંઈ ઉરમાં ઉર નહીં માય ! –
કે એને કોણ ટોકે ?
ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’
ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય.
જન્મ: એપ્રિલ 16, 1903
અવસાન: જાન્યુઆરી 6, 1991